મસાલાની દુનિયા પર રાજ કરતી MDH કંપની હવે વેચાવાના આરે પહોંચી ગઈ છે, જાણો કોણ ખરીદશે???

મસાલાની દુનિયા પર રાજ કરતી MDH કંપની હવે વેચાવાના આરે પહોંચી ગઈ છે. તેના ખરીદદારોમાં FMCG પ્રોડક્ટસની વિશ્વની દિગ્ગજ કંપની હિન્દુસ્તાન યુનિલિવરનું નામ મોખરે આવ્યું છે. અહેવાલો અનુસાર હિન્દુસ્તાન યુનિલિવરની મહાશિયન દી હટ્ટી પ્રાઇવેટ લિમિટેડ એટલે કે MDH પાસેથી મોટો હિસ્સો ખરીદવા માટે વાતચીત ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે MDHની કિંમત 10 હજારથી 15 હજાર કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
મસાલાનું બજાર 2025 સુધીમાં 50 હજાર કરોડનું થઈ જશે: ભારતમાં બ્રાન્ડેડ મસાલાનું બજાર વિશાળ છે અને એવો અંદાજ છે કે 2025 સુધીમાં તે બમણું થઈને 50,000 કરોડ થઈ જશે. એવું કહી શકાય કે રીજનલ લેવલની બ્રાન્ડ્સ મસાલા બજાર પર પ્રભુત્વ ધરાવે છે કારણ કે દરેક રાજ્યમાં રસોઈની આદતો અને મસાલા સંબંધિત ગ્રાહકોની પસંદગીઓ બદલાતી રહે છે. જે ફક્ત પ્રાદેશિક સ્તરના ખેલાડીઓ જ સારી રીતે પૂરી કરી શકે છે. આ કારણે રાષ્ટ્રીય સ્તરની મોટી કંપનીઓ માટે ભારતનું મસાલા બજાર હંમેશા મુશ્કેલ રહ્યું છે.
ટીવી કોમર્શિયલે અપાવી એક અલગ ઓળખ: રાષ્ટ્રીય સ્તરની મસાલા બ્રાન્ડ વિશે વાત કરીએ તો MDH બ્રાન્ડ હંમેશા એક અલગ ઓળખ ધરાવે છે. તેના અનોખા ટીવી કોમર્શિયલ્સને કારણે MDH એ દેશભરમાં વિશાળ હાજરી નોંધાવી છે. ટીવી જાહેરાતોમાં મહાશય ધરમપાલ ગુલાટી તેમની અલગ અંદાજમાં જોવા મળતા હતા.
હિન્દુસ્તાન યુનિલિવર વધુ ઉંચાઈ પર લઈ જઈ શકે છે: રિપોર્ટ અનુસાર હિન્દુસ્તાન યુનિલિવર દ્વારા MDHમાં મોટો હિસ્સો ખરીદવાના મુદ્દે બજારના નિષ્ણાત કહે છે કે હિંદુસ્તાન યુનિલિવર પાસે ટોચનું નેટવર્ક હોવાથી તે MDHને એવા વિસ્તારોમાં લઈ જઈ શકે છે જ્યાં તે હજી સુધી પહોંચી શક્યું નથી. જો કે હિન્દુસ્તાન યુનિલિવરને ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં પ્રવેશ કરવામાં પડકારોનો સામનો કરવો પડી શકે છે કારણ કે સ્થાનિક મસાલા બ્રાન્ડ્સ હજુ પણ તેમના પર પ્રભુત્વ ધરાવે છે.
આપને જણાવી દઈએ કે પાકિસ્તાનના સિયાલકોટમાં જન્મેલા ગુલાટીએ માત્ર તેમના પરિવારનો મસાલાનો વ્યવસાય જ સંભાળ્યો ન હતો પરંતુ તેમણે દેશના શ્રેષ્ઠ પેકેજ્ડ મસાલા પ્રોડક્ટસમાંથી એક બનાવી હતી. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી ગુલાટી માત્ર 1500 રૂપિયા સાથે દિલ્હી આવ્યા હતા. સખત સંઘર્ષ બાદ તેઓ ઊંચાઈઓને આંબ્યા હતા. તેમના મૃત્યુ બાદથી આ બ્રાન્ડ વેચાવાની ચર્ચા હતી.