કોરોનાની ત્રીજી લહેર હવે કાબૂમાં આવી ગઈ છે, 24 કલાકમાં માત્ર આટલા જ કેસ…

સુરત શહેરમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. 24 કલાકમાં શહેર-જિલ્લામાં 5 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેર જિલ્લામાં એક પણ દર્દીનું મોત થયું નથી. ઉપરાંત શહેર અને જિલ્લામાંથી 7 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. જેથી રિક્વરી રેટ વધીને 98 ટકાને પાર થયો છે.
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 204974 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કુલ 2238 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં 55થી વધુ એક્ટિવ કેસ છે.
ડિસ્ચાર્જનો આંકડો 2 લાખને પાર: કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોનામુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી 2,02,681 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેમાંથી જિલ્લાના 42,221 લોકોનો સમાવેશ થાય છે.
પોઝિટિવિટી રેટ 1 ટકાથી નીચે: શહેરમાં કોરોના વાઈરસના ઘટી રહેલા કેસ વચ્ચે કોવિડ પોઝિટિવિટી રેટ ઘટીને 1 ટકાની નીચે જતો રહ્યો છે. હાલમાં કોવિડ પોઝિટીવિટી રેટ માત્ર 0.08 ટકા જ છે. જાન્યુઆરીમાં કોરોનાના કેસ પીક પર હતા ત્યારે પોઝિટિવિટી રેટ 15 ટકા પહોંચી ગયો હતો. છેલ્લા 40 દિવસમાં પોઝિટિવિટી રેટ ઘટીને 0.08 ટકા થઇ ગયો છે. દર 1 હજારથી વધુ ટેસ્ટ સામે માત્ર 1 જ કેસ આવી રહ્યો છે. ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજ 3 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. છેલ્લા અઠવાડિયાથી કેસ સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા છે.
7 દર્દી હોસ્પિટલમાં દાખલ: સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે સ્મીમેરમાં 2 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જ્યારે બે દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.